કદલીવન કરત વિહાર
- Reshma Chinai

- Sep 26, 2020
- 1 min read
કદલીવન કરત વિહાર
પુરાણોની કથા અનુસાર હાથીને ચાર પાંખો હતી. હાથીઓ પણ આકાશમાં ઉડતા હતા. ગગન વિહાર કરતા કરતા જ્યારે હાથીઓ થાકી જતા ત્યારે પક્ષીઓની જેમ ઘરતી પર ગમે ત્યાં ઉતરી જતા કોઈના ઘર પર, ખેતરોમાં વગેરે... આમ હાથીઓના આતંકથી ઘરતીવાસીઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા.
ધરતીવાસીઓએ દેવરાજ ઈન્દ્રની ઉપાસના કરી, ઈન્દ્રએ નારાયણની ઉપાસના કરી. નારાયણ પ્રસન્ન થયા. પ્રભુએ પોતાના સુદર્શન ચક્રથી હાથીઓની ચારે ચાર પાંખો કાપી નાંખી. હાથીઓ ખુબ નિરાશ થયા, ત્યારે નારાયણે હાથીઓની મુખ્ય મોટી બે પાંખો એક પર્ણ વિનાના વૃક્ષને આપી. આ વૃક્ષ એટલે ‘કદલી વૃક્ષ’ : ‘કેળ’. જ્યારે બીજી બે નાની સુંદર પીંછાઓ વાળી પાંખો હતી તે મયુર નામના પક્ષીને આપી.પછી હાથીને વરદાન આપ્યું કે તારી આ પાંખોનો જ્યાં સુધી મારા પુજનમાં ઉપયોગ નહીં થાય ત્યાં સુધી મારી પુજા કે સેવા પૂર્ણ થશે નહીં. આથી કેળના પાન વગર કોઈ પણ શુભકાર્ય પૂર્ણ થતું નથી, વળી પુર્ણપુરુષોત્તમ સ્વરૂપે જ્યારે પ્રભુ શ્રીકૃષ્ણ રૂપે અવતર્યા ત્યારે તેમણે પોતાના શ્રીમસ્તક પર મયુરપીંછ ધારણ કર્યુ. હાથીના આ બલિદાનને જોઇ માતા લક્ષ્મી પણ પ્રસન્ન થયા. તેમણે પણ તેને વરદાન આપ્યું કે હાથીની સેવા જે કોઈ પણ કરશે તેના પર મારી વિશેષ કૃપા રહેશે.
ગોકુળ-વૃંદાવનમાં પણ કેળના વન આવેલા છે. જ્યાં ગોપ-ગોપીઓ સાથે પ્રભુએ અનેક ગૂઢલીલાઓ કરી છે. હાથીની પાંખો એટલે કેળના પાનની છાંયા પ્રભુને પ્રિય છે,કેળના પાન પાથરીને તેમાં પ્રભુએ અનેકવાર રાજભોગ આરોગ્યા છે આ તમામ લીલાઓની સ્મૃતિમાં આજે કદલીવનનો મનોરથ કરવામાં આવ્યો છે.
જય શ્રીકૃષ્ણ





Comments